ભાડૂઆતો અને મકાનમાલિકો ધ્યાન આપો… ભાડા કરારના નિયમમાં મોટો ફેરફાર

By: nationgujarat
19 Nov, 2025

કામકાજ અર્થે પોતાનું ઘર છોડી બીજા શહેરમાં ભાડા પર રહેતા લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે. અભ્યાસ હોય કે નોકરી, એક મોટો વર્ગ ભાડાના મકાન પર નિર્ભર રહે છે. તેની વધતી સંખ્યાની સાથે મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે વિવાદ પણ સામાન્ય થઈ ગયા છે. ક્યારેક ડિપોઝિટ પરત ન મળવાની ફરિયાદ, તો ક્યારેક તાત્કાલીક ઘર ખાલી કરવાનું ફરમાન. આવી ઘટના દરેક શહેરમાં જોવા મળતી હતી. પરંતુ હવે આ મનમાની પર લગામ લાગવાની છે. સરકારે ‘ન્યૂ રેન્ટ એગ્રીમેન્ટ 2025’ હેઠળ નવા નિયમ લાગૂ કર્યાં છે, જે મોડલ ટેનેન્સી એક્સ (MTA)  અને તાજેતરની બજેટની જોગવાઈ પર આધારિત છે.

૧. ભાડા કરાર નોંધણીમાં વિલંબ માટે દંડ
અત્યાર સુધી, ઘણા લોકો ભાડા કરાર તૈયાર કરતા હતા પરંતુ તેને નોંધણી કરાવવામાં અવગણના કરતા હતા. નવા નિયમોએ આ શિથિલતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. હવે, કરાર પર હસ્તાક્ષર કર્યાના બે મહિનાની અંદર નોંધણી ફરજિયાત છે. સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક ભાડૂઆતનો કાનૂની રેકોર્ડ હોય. તમે રાજ્યની ઓનલાઈન પ્રોપર્ટી વેબસાઇટ પર અથવા નજીકના રજિસ્ટ્રાર ઑફિસની મુલાકાત લઈને આ નોંધણી સરળતાથી કરાવી શકો છો. જો કે, ધ્યાનમાં રાખો કે જો કરાર નિર્ધારિત સમય મર્યાદામાં નોંધણી ન કરાવે, તો ₹5,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. આ નિયમ મકાનમાલિક અને ભાડૂઆત બંનેને જવાબદાર બનાવે છે, જે ભવિષ્યમાં કોઈપણ કાનૂની ગૂંચવણો ટાળવામાં મદદ કરે છે.

2. ભાડૂઆતો માટે મોટી રાહત
ભાડૂતો માટે સૌથી મોટો માથાનો દુખાવો સુરક્ષા ડિપોઝિટ અને ઘર ખાલી કરવાનું દબાણ હતું. નવા નિયમોએ અહીં નોંધપાત્ર “સુરક્ષા” પૂરી પાડી છે.

સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદાઃ હવે રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે મકાન માલિક મહત્તમ બે મહિનાના ભાડાની બરાબર એડવાન્સ કે સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકે છે. તો કોમર્શિયલ પ્રોપર્ટી માટે આ મર્યાદા છ મહિના સુધીની રાખવામાં આવી છે. તેનાથી ભાડૂઆત પર એક સાથે પૈસા આપવાનો ભાર ઓછો થશે.

ખાલી કરાવવાના નિયમો: હવે, કોઈ પણ મકાનમાલિક યોગ્ય સૂચના આપ્યા વિના અથવા યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ભાડૂઆતને કાઢી શકશે નહીં.

ભાડામાં વધારો: મકાનમાલિકો હવે પોતાની મરજીથી ભાડું વધારી શકશે નહીં. કોઈપણ ભાડા વધારા માટે અગાઉથી સૂચના આપવી ફરજિયાત રહેશે, અને તે કરારની શરતોને આધીન રહેશે.

3. મકાન માલિકોની બલ્લે-બલ્લે
તેવું નથી કે આ નિયમ માત્ર ભાડૂઆતના પક્ષમાં છે. મકાન માલિકોના હિતને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સરકારે રેન્ટલ હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ઘણી આકર્ષક જોગવાઈઓ સામેલ કરી છે.

TDS માં મોટી રાહતઃ મકાન માલિકો માટે સૌથી સારા સમાચાર ટેક્સ મોર્ચે છે. TDS કપાતની જે મર્યાદા પહેલા વાર્ષિક 2.4 લાખ રૂપિયા હતી, જેને વધારી 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે વધુ કમાણી પર પણ TDS કપાશે નહીં, જેનાથી મકાન માલિકોના હાથમાં વધુ રૂપિયા આવશે.

વિવાદોનો ઝડપી ઉકેલઃ હંમેશા જોવામાં આવ્યું છે કે ભાડૂઆતના વિવાદ કોર્ટ વર્ષો વર્ષ ખેંચે છે. તેના સમાધાન માટે હવે સ્પેશિયલ રેન્ટ કોર્ટ્સ અને ટ્રિબ્યુલન્સ (Tribunals) બનાવવામાં આવ્યાં છે. અહીં લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે કોઈપણ વિવાદનો ઉકેલ 60 દિવસની અંદર કરવામાં આવે.

ભાડું ન મળવા પર સુરક્ષા– જો કોઈ ભાડૂઆત ત્રણ મહિના કે તેનાથી વધુ સમય સુધી ભાડુ આપતો નથી તો રેન્ટ ટ્રિબ્યુનલ દ્વારા મકાન માલિકને ત્વરિત ન્યાય મળશે અને ભાડૂઆતને બહાર કાઢવાની પ્રક્રિયા સરળ થશે.


Related Posts

Load more